03Apr2026
Upcoming Events: June 2025 ●Kalyan Lohana Mahajan Website Launch ●Digital VastiPatrak
Upcoming Events: June 2025 ●Kalyan Lohana Mahajan Website Launch ●Digital VastiPatrak
વીર લોહાણા, ધીર લોહાણા, ધન્ય લોહાણા કોમ જગે.
આ જગમાં જન્મી જેણે, ઉજજવળ કરી નીજ જ્ઞાતિને.”
સાતસિંધુના પ્રદેશમાં આર્ય સંસ્કૃતિનો આરંભ થયો અને વૈવસ્વત મનુએ વર્ણાશ્રમ ધર્મ સ્થિત કરી રાજય અને સમાજ વ્યવસ્થાનો પાયો નાખ્યો. આ વૈવસ્વત મનુના પુત્ર ઈસ્વશ્વાકુએ સૂર્યવંશની સ્થાપના કરી. આ ઈશ્વાકુના વંશમાં ૬૩મી પેઢીએ મહાપ્રતાપી રઘુ થયા, જેમણે વિશ્વજીત યજ્ઞ કરી રઘુવંશનો જયધ્વજ ફેલાવ્યો અને રઘુવંશી સામ્રાજયની સ્થાપના કરી.
લોહાણાઓનો ઈતિહાસ સૂર્યવંશી મહાનૃપ રઘુથી થાય છે. આ વીર રઘુના પુત્ર અજ અને તેના પુત્ર દશરથને ત્યાં વિષ્ણુ ભગવાને રામાવતાર રૂપે જન્મ લીધો. આપણા પૂર્વજ શ્રી રામને ત્યાં લવ અને કુશ બે પુત્રો હતા. શ્રી રામે અયોધ્યાનો ત્યાગ કર્યો તે પહેલાં પોતાના અને લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના મળી કુલ આઠ રાજકુમારોને વિવિધ પ્રદેશો આપી રાજયાભિષેક કરાવ્યો. તેમાં તેમના જયેષ્ઠ પુત્ર કુશને કોશલ દેશ અને લવને ઉત્તર પંજાબનું રાજય આપ્યું હતું. કુમાર લવે પોતાના નામ પરથી લવાલકા (લવની અલકા) નામનું નગર વસાવી પોતાની રાજધાની સ્થાપી ત્યારે સપ્તસિંધુ તરીકે ઓળખાતા આ પ્રદેશમાં સિંઘ અને પંજાબનો સમાવેશ થતો હતો.

લવના વંશજોએ ધીરે ધીરે પ્રદેશો જીતી ઠેઠ અફઘાનિસ્તાન સુધી પોતાનું સામ્રાજય સ્થાપ્યું. ઈ.સ.પુ.૫૮૦ માં ભારતના મહાન સમ્રાટ બિંબિસારે વિવિધ ધંધાકારી વિભાગોની શ્રેણીઓ રચી (આ શ્રેણીઓ જ્ઞાતિ સ્વરૂપે ઓળખાય છે.) તેમાં ક્ષત્રિયોની લવાન નામની શ્રેણી રચાઈ. જેનું સમૂહગન લવાનામ, સંસ્કૃતમાંથી રૂપાંતર થયું. કાળક્રમે આ લવાનામ પરથી ‘લવાના’ અને લવાણામાં અપભ્રંશ થયો. લવે લોહરગઢ વસાવ્યું હતું. તેના નામ પરથી ત્યાંના રાજય કર્તાઓ લોહરાણા તરીકે ઓળખાતા અને કાળક્રમે લોહરાણા પરથી લોહાણા નામ પડયું.
ચીની પ્રવાસી ફાહિઆને ઈ. સં. ૩૯૯ થી ૪૧૪ દરમ્યાન કરેલા ભારતના પ્રવાસ વર્ણનમાં લખ્યું છે કે ‘સિંધુ નદી અને સુલેમાન પર્વતના નામથી ઓળખાતા પ્રદેશમાં લોહાણા નામક જાતી હતી. અને તેમના રાજયો હતા. કાબુલના કમીશ પ્રાંતમાં પણ લોહર નામનું નગર હતું.’ ઈતિહાસકાર બર્ટન પણ બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના પૂર્વ ભાગમાં પથરાયેલ લોહાણાઓને એક સાહસિક પ્રજા ગણાવે છે.
:: કુરમાંગ નામનો એક ચીની પ્રવાસી ૧૧મા સૈકામાં ભારત આવ્યો હતો. તેના પ્રવાસ વર્ણનમાં જણાવેલું છે કે, હિંદ અને અફઘાનિસ્તાનના સીમા પ્રાંતમાં લોહરી જાતીનું બળવાન રાજય છે. ત્યાંના રાજા રાણા કહેવાય છે.
કર્નલ ટોડે પણ જણાવ્યું છે કે ભારતની પ્રાચીન ક્ષત્રિય જાતી કોઈ હોય તો તે લોહાણા જાતિ છે.
સેંકડો વર્ષો પૂર્વે અફઘાનિસ્તાન અને વાયવ્ય સરહદના પ્રાંતો અને સિંઘના પ્રદેશમાં આપણા પૂર્વજોના રાજયો હતા. ત્યાં લોહરાણાઓ વિધર્મીઓ સામે રાષ્ટ્રની સુરક્ષાનું કાર્ય કરતા હતા. ખૈબરઘાટ અને અફઘાનિસ્તાન સુધી લડીને વિધર્મીઓને હિંદુસ્તાનમાં આવતા અટકાવતા હતા. આ પ્રદેશ ડુંગરાળ છે અને ત્યાં નાની નાની ડુંગરીઓ ફેલાઈ રહેલી છે. લોહાણા ક્ષત્રિયો આ ડુંગરીઓ પાછળ રહીને વિધર્મીઓનો સામનો કરતા હતા. આમ ઈ.સ. ૭ મી સદીથી ૧૧મી સદી સુધી (એટલે કે ચારસો વર્ષ સુધી ભારતની દિવાલ બનીને પરદેશીઓને દેશમાં દાખલ થવા દીધા નહીં. આ ડુંગરીઓને ઓથે રહીને તેઓએ દેશનું રક્ષણ કર્યુ તેથી કહેવાય છે કે: ‘ધન્ય માતા ડુંગરી, લોહાણાની લાજ રાખી.’
વર્ષો સુધી ભારતની સીમા પર અડીખમ રહીને ૫રદેશીઓનો સામનો કરનાર લોહાણા જ્ઞાતિને ધીરે ધીરે પાછા હઠવું પડયું. તેઓએ સિંધમાં આવીને સત્તા જમાવી. સિંધમાં રહીને વિધર્મીઓનો સામનો કરવા લાગ્યા. અરબસ્થાનમાં મહંમદ પયગંબરે સ્થાપેલ ઈસ્લામ ધર્મનો પ્રચાર કરવા, વારંવાર મુસલમાનોના આક્રમણો થવા લાગ્યા. લોહરાણાઓ આ મુસલમાનોને સિંધમાં જ અટકાવતા. આ જમાનામાં લોહરાણાઓની હાક છેક વાયવ્ય સરહદ સુધી વાગતી હતી. આ અરસામાં લોહરાણાઓના પૂંજારી (સારસ્વત) કુળમાં ચરય ઉર્ફે કુંલાંગર પેદા થયો. તેણે ભારે ચાલાકીથી તે વખતના લોહરાણા રાય ચાહીરાસનું સિંધનું રાજય ઝૂંટવી લીધું અને લોહપ્રજાના ભાગલા પાડી છિન્નભિન્ન કરી નાખ્યું.
આ સમયમાં લોહર પ્રદેશમાં વીર જસરાજ પેદા થયો તેની રાજધાની લોહરગઢ હતી. આ રાજધાની લોહરગઢ જે આજે પાકિસ્તાનનું લાહોર શહેર છે. દાદા જસરાજનું રાજય લોહરગઢથી મુલતાન સુધી હતું. આ સમયમાં મુલતાન ૫૨ થયેલ મોંગોલોના આક્રમણ દરમ્યાન મોંગલ સ૨દા૨ ચંગીઝખાનનું મોત દાદા જસરાજના હાથે થયું હતું. આજે પણ દાદા જસરાજની તાકાતનું પ્રતીતિ કરાવતું લખાણ ચંગીઝખાનની કબર ઉપર ચીનીભાષામાં છે કે ‘ખાન ચંગીઝખાનનું મૃત્યુ લોહરગઢના રાણા જસરાજને હાથે થયું હતું. ‘આ ઉપરથી સરહદ પ્રાંતની દંત કથામાં
આજે પણ કહેવાય છે કે: “તેગડા મંગોલિયા દા મૌત મૌલતાન કા કિલ્લા બીચ દાદા મિરાને કીત.” એટલે કે મુલતાનના કિલ્લામાં મંગોલ સરદારનું મિરાનાએ મૌત નિપજાવ્યું હતું. મિરાના એટલે વાઘ. આ ઉપરથી લોહાણામાં મિરાની અટક પડી. આ વીર જસરાજનું ૨૪ વર્ષની વયે દગાથી મોત થયું હતું.
દાદા જસરાજના મૃત્યુ બાદ લોહરાણાઓ નબળા પડવા માંડયા અને લોહરગઢની || સત્તાનો અંત આવ્યો. આ વખતે સિંધમાં લોહરાણા દાહીરનું રાજય હતું. તેણે મુસલમાનોનો સામનો કર્યો. પરંતુ આંતરિક વિખવાદમાં નબળા પડયા. દાહીરનું મુસલમાનો સાથેની લડાઈમાં મૃત્યું થયું. આ દાહીર રાણાની રાજધાની નારણકોટ હતી જે આજે પાકીસ્તાનમાં હૈદ્રાબાદ તરીકે ઓળખાય છે.
સિંઘ મુસલમાનોના હાથમાં જતાં ત્યાંની પ્રજા ઉપર જુલ્મ થવા માંડયા. હિંદુઓને બળજબરીથી મુસલમાન બનાવવા માંડયા. તે અરસામાં નારાયણકોટથી ૯૦ માઈલ દૂર નસર પૂરમાં રતનરાય ઠકકુરને ત્યાં હિંદુઓના તારણહાર લાલ ઉડેરા (દરીયાલાલ) નો જન્મ થયો. આ લાલ ઉડેરાએ હિંદુઓને મુસલમાન સત્તાના જુલ્મથી ઉગારી. દરીયાલાલે મુસલમાન બાદશાહ મરખશાહને નમાવી ધર્મની સાચી ઝાંખી કરાવી. દરીયાલાલે પોતાનું કામ પતાવી દરીયામાં માર્ગ કાઢી પાતાળમાં સમાધિ લીધી. હજી પણ આ જગ્યાએ હિંદુ અને મુસલમાન ભેગા થઈને અખંડ જયોત સાથે કુબા અને નરબત સ્થાપી પૂજા કરે છે. દરીયાલાલને હજી પણ જીંદાપીર તરીકે પૂજાય છે. એમના પૂંજારી લોહરાણાઓ પૂંજા૨ા ત૨ીકે ઓળખાયા અને તેમના વારસદારો તેમના પિતાના નામ રતનરાય પરથી રતનાણી તરીકે ઓળખાયા.
સમય જતાં અને ધર્મની રક્ષા કરવી મુશ્કેલ થતા લોહરાણાઓ સિંધ છોડીને કચ્છમાં આવ્યાં અને ત્યાંથી વ્યાપાર અને જીવનનિર્વાહ માટે દક્ષિણ ભારત તરફ એટલે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવ્યા.
વીર લોહરાણાઓ અફઘાનિસ્તાનમાં ઈસ્લામ રાજયની સત્તા થવા છતાં હિંદુ ધર્મ પાળીને વસ્યા. આ હિંદુ પઠાણો લોહખતરાં તરીકે ઓળખાય છે. નિર્ભય લોહરાણાઓ સિંધ પ્રદેશ ન છોડતાં મુસલમાનો વચ્ચે હિંદુ ધર્મ જાળવીને રહ્યા તે સિંધી લોહાણા તરીકે ઓળખાયા.
કચ્છની ધરતી પર લોહાણા જ્ઞાતિમાં અનેક સંતો, વીરો અને વિરાંગનાઓએ જન્મ લીધો છે. ઈ.સ. ૧૭૬૪માં કચ્છ ઉપર સિંઘના બાદશાહ ગુલામશાહ કોરાએ ચડાઈ કરી અને ઝારાના મેદાનમાં ભયંકર યુધ્ધ થયું ત્યારે અનેક લોહાણા વી૨ પુરૂષો અને વીરાંગનાઓએ ભાગ લીધો હતો. હજી તેઓના પાળીઆ મોજૂદ છે અને તેઓની વીરતાની સાક્ષી પૂરે છે. કચ્છમાં દેવકરણ શેઠ અને મેઘજી શેઠ જેવા મહાન લોહાણા મુત્સદ્દી દિવાન થયા. આ વિરલાઓને નવાજવા
આજે પણ કચ્છમાં કહેવત છે કે :
૧જી લોહાણી અને ત્રીજી મિયાણી, એ જ સાચી વિયાણી.’ તેઓ દરિયો ખેડવામાં પાવરધા હતા. જેઓ ભરતી સામે દરિયામાં હંકારતા તેઓ ઠકકર તરીકે ઓળખાયા. ‘ઠક’ એટલે હંકાર, ભરતી.
લવાણને પાલી ભાષામાં લબાણા ઉચ્ચાર થાય છે. આજેય ગુજરાતનાં પંચમહાલ જીલ્લાના દાહોદ તાલુકાના ચંદવાણા અને કતવારા ગામના ઠાકોરો લબાણા તરીકે ઓળખાય છે.
લોહાણાઓની અનેક જ્ઞાતિઓ સર્જાઈ જેમકે લબાણા, ભાટિયા, ભાવસાર, બ્રહ્મક્ષત્રિય ઈત્યાદિ. આ બધાના લગ્ન અને જનોઈ સંસ્કા૨ સ૨ખા છે. આ બધાના ગોર સારસ્વત બ્રાહ્મણ હોય છે.
મુસલમાનોના જુલ્મથી જે બચ્યા નહીં અને જેઓએ ના છૂટકે મુસલમાન ધર્મ અંગિકાર કર્યો તે લોહાણાઓ ખોજા તરીકે ઓળખાયા. ઘણા ખોજા કુટુંબો લોહાણાઓની અટકથી હજુ પણ ઓળખાય છે. પાકિસ્તાનના સ્થાપક મહમદ અલી જીન્નાના પિતાશ્રી જીણાભાઈ ઠકકર હતા. તેમના નામ પરથી જીન્ના અટક પડી.
પાકિસ્તાનમાં ઘણી અટક છે. જેમકે કોટક, કોટેચા, કાથરાણી, કકકડ, મજીઠીયા, મહારૂડા, માધવાણી, મહેતા, માનસાતા, રાડીયા, રૂપારેલ, રાજા, સેજપાલ, લાખાણી, સવાણી, સોમૈયા, ગણાત્રા, વડેલા, બેટાઈ, બારાઈ, ઠકકર, ઠકકુર, પૂજારા, નથવાણી, બુધ્ધદેવ, ચંદારાણા, માણેક વિગેરે. પરંતુ આ બધાં જ રઘુવંશી લોહાણા છે.
“કચ્છી, હાલાઈ, ઘોઘારી, મર્દ લોહાણા રઘુવંશી’
સિંધી, ગુજરાતી, દેશી, ધીર લોહાણા રઘુવંશી.”
લોહાણાઓમાં સંતશ્રી ઉડેરાલાલ, ભકતશ્રી જલારામ, યોગીજી મહારાજ, સંતશ્રી રણછોડદાસ, ભીક્ષુ અખંડઆનંદ, મહર્ષિ પ્રાણનાથ, સંતશ્રી ભાણસાહેબ, ભકતશ્રી લાલબાપુ, ગુરૂ નાનક, ઠકકર બાપા, શ્રી હરિરામ બાપા, શ્રી હરીભાઈ કોઠારી, શ્રી હિંડોચાબાપા, શ્રી છગનબાપા, શેઠ શ્રી નાનજીભાઈ મહેતા, શેઠ શ્રી માધવાણી, શેઠ શ્રી વિરજીભાઈ મસ્કાઈ, સમ્રાટ રણમલ લાખા, લોહરાણા અજાનબાહુ, દેવકર શેઠ, મેઘજી શેઠ, દાદા જસરાજ, અને વિરાંગના દરકૌર જેવા મહાન વીર, દાતાર અને મુત્સદ્દીઓ થઈ ગયા છે. તેથી કહેવાય છેઃ
“નામ રહંતા ઠકકરો, નાણા નહીં રહંત, કિર્તી કેરા કોટડા, પાડયા નહીં પડત.’
લોહાણા જ્ઞાતિના ગૌરવસમા બહુશ્રુત વિદ્વાન, પ્રખર તત્વચિંતક, પ્રા. હરિભાઈ કોઠારી ના રઘુવંશી વ્યાખ્યાનમાળામાંથી સાભાર.
મહાકવિ કાલિદાસે જે કુળને બિરદાવવા માટે ‘રઘુવંશ’ જેવું મહાકાવ્ય લખ્યું તે કુળ કેટલું ગૌરવવંતુ ગણાય. ઉચ્ચ કુળમાં જન્મનારની જવાબદારી પણ સવિશેષ હોય છે. કુળના ગૌરવને વધારે તેજ કુળ દીપક કહેવાય. ભગવાન કૃષ્ણ પોતે ચંદ્રવંશી હોવા છતાં તેમણે ગીતામાં સાચા કર્મયોગીઓ તરીકે સૂર્યવંશીઓને પ્રશંસ્યા છે.
“ ાઈમં વિવસ્વતે યોગ પ્રોકતવાનહમવ્યયમ્ વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેડબ્રરવીતુ છે’
(શ્લોક–૧, અ–૪)
અર્થાત
“મેં અવિનાશી (કર્મ) યોગ સૂર્યને કહ્યો હતો, સૂર્યે (પોતાના પુત્ર) મનુને કહ્યો (એ) મનુએ રાજા ઈક્ષ્વાકુને કહ્યો હતો.’
કર્મયોગમાં સૂર્યની તુલના કોણ કરી શકે? અવિરત કાર્ય કરનાર તેજ:પુંજ સૂર્યએ રઘુકૂળ નો આદર્શ છે. રઘુવંશી કદી નિસ્તેજ કે આળસુ ન હોય. રઘુવંશીઓએ સૂર્યનારાયણ જેવી નિયમિતતા કેળવવી જોઈએ. જાતે બળીને જગતને ઉષ્મા (હૂંફ) આપનાર સૂર્ય એના વંશજો પાસેથી એજ પ્રકારની અપેક્ષા રાખે એ તદ્દન સ્વાભાવિક છે. સૂર્ય શિકાયત ન કરતાં પોતાનું કાર્ય કરે છે. મહાપુરુષોની કાર્યસિધ્ધિ એમના સત્ય પર અવલંબે છે અને નહિ કે સાધના ૫૨ ! આજે પણ સૂર્યવંશીઓ સૂર્યની માફક સમગ્ર વિશ્વમાં પ્રસરેલા છે એ ઉલ્લેખનીય ઘટના ગણાય.
રાજર્ષિ મનુએ પણ માનવમાત્રને અનોખી પ્રેરણા પ્રદાન કરી છે. ‘માનવધર્મશાસ્ત્ર’ (મનુસ્મૃતિ) રચીને એમણે સમગ્ર માનવજાત પર ઉપકાર કર્યો છે. સમાજજીવનની નાડ પારખ્યા વગર આવું અદભૂત સમાજશાસ્ત્ર લખવું શક્ય નથી. વ્યકિતના વિકાસ માટે આશ્રમવ્યવસ્થા (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ) તેમજ સામાજિક વિકાસ માટે વર્ણવ્યવસ્થા (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર) સર્વોત્તમ છે. એ દુઃખદ બાબત છે કે કાળક્રમે વર્ણ વ્યવસ્થાનું રૂપાંતર વર્ણભેદ (ઊંચનીચના) માં થઈ ગયું. જ્ઞાન, બળ, વિત્ત અને શ્રમનું મૂલ્ય સમજાવતી વર્ણવ્યવસ્થા એ રાજર્ષિ મનુએ આપેલી અનુપમ ભેટ છે.
રાજર્ષિ મનુનો દ્રષ્ટિકોણ ખૂબજ વિશાળ હતો. તેમણે કહ્યું છે : ‘આ દેશમાં જન્મેલા લોકો પૃથ્વીના સર્વ માનવોને તેમના ચરિત્ર શીખવશે.’ ઈશ્વરે વિવિધ અવતારો લઈ આ ભારતની ભૂમિ પર અનેક પ્રયોગો કર્યા છે. એ પ્રયોગોનો પ્રચાર અને પ્રસાર કરવાની જવાબદારી ભારતીયોની છે.
ઈક્ષ્વાકુ અને પુરંજય જેવા પ્રભાવી રાજર્ષિઓ આ સૂર્યવંશમાં જન્મ્યા છે. વસિષ્ઠ મુનિની ગાય નંદિનીને સિંહના મુખમાંથી બચાવવા માટે રાજર્ષિ દિલીપ આત્મબલિદાન આપવા તૈયાર થઈ જાય છે. ભૌતિક શરીર કરતાં રાજર્ષિ દિલીપને મન યશઃશરીરનું મૂલ્ય વિશેષ હતું.
સાંસ્કૃતિક દિગ્વિજય કર્યા પછી રાજર્ષિ રઘુએ સર્વદક્ષિણાયન યજ્ઞ કર્યો. બધી જ સંપત્તિ દાનમાં આપી તે અકિંચન બની ગયો. વતંતુ મુનિનો શિષ્ય કૌત્સ ગુરુના ગુરુકાર્યમાં ગુરુદક્ષિણારૂપે ચૌદ કરોડ સોનામહોર માગવા આવે છે. બારણે આવેલો તપોવનનો છાત્ર ખાલી હાથે પાછો જાય એ રઘુને પોતાના પરાભવના અવતાર સમી ઘટના લાગી. તેણે કૌત્સને કુબેર પાસેથી યથાપેક્ષિત સંપત્તિ લાવી આપી. રઘુના કતૃત્વ અને ઔદાર્યનો સાક્ષી બનેલો આ સૂર્યવંશ ત્યારથી રઘુકૂળ તરીકે ઓળખાવા લાગ્યો. સંત તુલસીદાસજીએ પણ લખ્યું છે.
‘રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય અરુ બચન ન જાઈ!’
રાજર્ષિ અજ પણ પરાક્રમી ને લોકપ્રિય હતા. પ્રજાના જન જનને અજ રાજા પોતાના આપ્તજન સમા ભાસતા હતા. રાજર્ષિ દશરથ પણ શૂરવીર હતા. દેવાસુર સંગ્રામમાં તેઓ દેવરાજ ઈન્દ્રના સહાયક બન્યા હતા અને દેવોને વિજય અપાવ્યો હતો. સૂર્યવંશ તેમજ રઘુકૂળની આ શ્રેષ્ઠ પરંપરામાં મર્યાદા પુરુષોત્તમ રામ પ્રગટયા હતા. ભગવાન રામને બિરદાવતાં મહર્ષિ વાલ્મીકિ લખે છેઃ
‘સમુદ્ર ઈવ ગાંભીર્યે, ધૈર્ય ચ હિમમાનિવ, વિષ્ણુના સંદેશો વીર્યે, સોમવત્ પ્રિયદર્શનઃ’
…
પ્રા. હરિભાઈ કોઠારી
| પૂર્વજો | ભગવાન રામચંદ્રજી, દરિયાલાલજી, જલારામ બાપા, વીરબાઈ માતા, યોગીજી મહારાજ |
| મંત્ર | ગાયત્રી |
| આદર્શ | ન્યાય, નીતિ અને નારાયણની પ્રતિષ્ઠા |
| ધર્મ | જ્ઞાતિહિતનું સતત ચિંતન |
| લક્ષ્ય | જનજનને જગાડવા અને જોડવા |
| ધ્વજ | સ્વાભિમાન અને આત્મ ગૌરવ |
| ગ્રંથ | રામાયણ અને ગીતા |
| પ્રવૃત્તિ | જ્ઞાતિનું ગૌરવ અને ગરિમા વધારવા |
| સિદ્ધાંત | મેરુની અડગતા, ધ્રુવની નિશ્ચલતા |
| મુદ્રાલેખ | વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા |
| આરાધ્યદેવ | ભગવાન રામચંદ્રજી |
| આરાધ્યદેવી | ભગવતી મા સરસ્વતી |
| સંદેશ | પંથ, પ્રેરણા અને પ્રકાશ |
| વારસો | દીન, દુ:ખી અને દર્દીની દુઆ |
| શું ગમે? | ઊંચા સ્વપ્નોને સિદ્ધ કરવાની સતત સાધના |
| કોની સમીપે જાય? | સ્વાધ્યાય અને સદાચારની |
| કોનાથી દૂર રહે? | સસ્તી લોકપ્રિયતા, દંભ, આપવડાઈ અને આડંબરથી |
| કોના આશીર્વાદ? | માતા, પિતા અને ગુરુજીના |
| કોના માટે પ્રેમ? | પુસ્તક, પ્રકૃતિ, પારદર્શક્તા, પરોપકાર, પવિત્રતા |
| કોને માટે ધિક્કાર? | આત્મશ્લાઘા, કુટિલતા અને રૂઢિચુસ્તતા |
| હૈયું ક્યારે હસે? | એક જ પંગત, સુજ્ઞજનોની સંગત, સાત્વિક રંગત |
| દિલ ક્યારે દુભાય? | રઘુવંશી લમણે હાથ દઈને તકદીરને દોષ દે ત્યારે, અન્યનાં છિદ્રો જુએ ત્યારે |
આવો રઘુવંશી ૫રસેવાથી પ્રાપ્ત કરેલો પૈસો પર-સેવામાં વાપરી પરમાત્માને પ્રસન્ન કરે.
રઘુવંશી કપાઈ શકે પણ ઝૂકી ન શકે. તે સફળતાથી ન ફુલાય, નિષ્ફળતાથી ન ભાંગી પડે. રઘુવંશીને રામનો દીધેલો રોટલો ખાવા કરતાં ખવડાવવો મીઠો લાગે.
રઘુવંશીનો હાથ આપવા માટે લંબાય…. લેવા માટે કદી નહીં. રઘુવંશી ખુશ સૌને કરે, ખુશામત કોઈની નહીં, વિનયનું નમન સર્વેને, પરંતુ સલામ કોઈને નહીં… રઘુવંશી પાસે હનુમાનની આંખ અને જટાયુની પાંખ છે. રઘુવંશી એટલે સૂર્યનો તણખો અને ભગવાન રામના સારંગ ધનુષ્યનો ટંકાર.
રઘુવંશી નારીને એક શકિત માને. રઘુવંશી અજવાળું આપે.. ભડકો કદી ન કરે. તે પ્રેમાળ મીઠા શબ્દો વડે બાગ ઉભો કરે, આગ નહિ. રઘુવંશી હાથ લંબાવે… પંજો નહીં. આવો રઘુવંશી અણનમ…. અડોલ…. અનુકંપાવિભૂષિત… દલ અને દલબંધીથી દૂર, વાદ વિવાદથી વેગળો, પક્ષ અને પૂર્વગ્રહથી ૫૨, જેનામાં કાંગરો બનવાની કામના નહીં પરંતુ પાયાની ઈટ બનવાની જેનામાં તમન્ના હોય.
રઘુવંશીના સાડા ત્રણ કરોડ રૂંવાડા જ્ઞાતિ પ્રેમની બુલંદ ઉદ્દઘોષણા કરે છે. આવા રઘુવંશીના રખોપા સ્વયં રામ કરે છે.
વાણીના વંદન અને સંસ્કારના ચંદન વડે રઘુનંદનને પ્રસન્ન કરી અન્યના ક્રંદન ઓછા કરે તે રઘુવંશી.
હે ભગવાન, જો રઘુવંશી આવો હોય તો તેને તે માર્ગે ટકી રહેવાનું બળ દેજે. અને રઘુવંશી આવો ન હોય તો તેવો બનવાની તું એને નિખાલસતા આપજે…
